અમીરુલ મોઅમેનીન અલી (અ.સ) ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા જરૂરી છે તેઓ પછી ગમે તે હોય

વાંચવાનો સમય: 3 મિનિટ

જ્યારે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરવાની વાત આવે ત્યારે ઘણા આશ્ચર્ય પમાડનાર બહાનાઓ સાંભળવા મળે છે તેમાંથી એક સમૂહ એવો દાવો કરે છે કે આપણે તબર્રા કરવાથી પરહેઝ કરવું જોઈએ કારણ કે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનોને મુસલમાનોના અમુક ફિરકાઓ માન આપે છે આ મુસલમાનો તબર્રાના કારણે નારાજ થઇ જશે તેથી આ મુસ્લીમો ખાતર અને મુસલમાનો ની એકતાની જરૂરતને નજર સમક્ષ  રાખીને  આપણે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનોથી તબર્રા કરવાથી દુર રહેવું જોઈએ આપણે તેઓને સન્માન આપવું જોઈએ કારણકે તેઓને તેમના માન્વાવાળાઓ માન આપે છે

જવાબ:

આ સુચન આપનાર હિમાયતીઓના માટે અમારો એક જ સવાલ છે

-આ મુસલમાનો જ્યારે તેમના દુશ્મનો અને વિરોધીઓની વાત આવે છે તો શું તેઓ તેમને માફ કરી દેવા કે ભૂલી જવા ઈચ્છે છે?

-શા માટે તેઓ પોતાના દુશ્મનોનો શિકાર કરે છે કૈદ કરે છે અને તેઓને મારી પણ નાખે છે?

-શું તેઓ અમીરુલ મોઅમેનીન (અ.સ)થી વધીને છે કે જેમના દુશ્મનોથી મોહબ્બત કરવી જોઈએ જ્યારે કે તેમના ખુદનાં દુશ્મનો કત્લ થવા જોઈએ

આવો આપણે એક પ્રસંગ તરફ નજર કરીએ કે જેમાં ઈમામ બાકીર (અ.સ) શામિલ છે જે આપણને તબર્રાનાં મહત્વ ઉપર ભાર મુકે છે અને જે અમીરુલ મોઅમેનીન (અ.સ)ના ચાહવાવાળાઓ પર વાજિબ હોવાનું દર્શાવે છે.

તબર્રા વિષે ઈમામ બાકીર અ.સ:

‘………પછી ઈમામ બાકીર (અ.સ) એ તેને કહ્યું (અય અલ્લાહના બંદા) આ ઉમ્મતનો અલી ઇબ્ને અબીતાલિબ (અ.સ)નો ઝુલ્મ કેટલો બધો વધારે છે. અને તેમના (અ.સ) પ્રત્યે ઇન્સાફ કેટલો ઓછો છે? તેઓએ અલી (અ.સ)ને તેમની ફઝીલતોથી વંચિત કર્યા (તેના બદ્લે)સહાબીઓને તે ફઝીલતો આપી દીધી જ્યારે કે અલી (અ.સ)તેઓ બધામા શ્રેષ્ઠ હતા તો પછી તેઓ કઈ રીતે અલી (અ.સ)ને તેમના તે સ્થાનથી દુર કરી શકે છે કે જે તેઓએ બિજાને અર્પણ કરી દીધું છે.

ઈમામ (અ.સ)ને પૂછવામાં આવ્યું અય ફરઝંદે રસુલ (સ.અ.વ) તે કેવીરીતે?

ઈમામ બાકીર અ.સએ કહ્યું “તમે અબુબક્ર બિન અબુકહાફાના ચાહવાવાળાઓની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો ભલે પછી તે ગમેતે હોય

તેવી જ રીતે તમેં ઉમર બિન ખત્તાબ ની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો પછી ભલે તે ગમે તે હોય

તેમજ તમે ઉસ્માન બિન અફ્ફાનની વિલાયતને કબુલ કરો છો અને તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા કરો છો પછી ભલે તે ગમે તે હોય ત્યાં સુધી કે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ) સુધી પહોચે છે ત્યારે તેઓ કહે છે તમે તેની વિલાયતતો રાખો પણ તેમના દુશ્મનો વિરુદ્ધ તબર્રા ન કરો (તમે એવો દાવો કરો છોકે ) અમે તેમને ચાહિએ છીએ અને તેમના માટે કઈ રીતે આ દાવો કરવો જાએઝ(યોગ્ય) છે જયારે કે રસુલે અકરમ (સ.અ.વ)એ અલી (અ.સ) વિષે ફરમાવ્યું છે: અય અલ્લાહ તું તેની સાથે મોહબ્બત કર જે અલી (અ.સ)ને ચાહે અને તેને દુશ્મન બનાવ જે અલી (અ.સ) સાથે  દુશ્મની કરે અને તેની મદદ કર જે (અલી અ.સ)ની મદદ કરે અને તું તેમને ત્યજી દે જે અલી અ.સને ત્યજીદે (છોડી દે)

તો પછી શું તમે તેઓને જોયા કે તેઓ અલી (અ.સ)નાં દુશ્મનોને દુશ્મન નથી સમજતા ન તેઓ તેમને ત્યજી દે છે (જેઓએ અલી (અ.સ)ને છોડી દીધા)

આ ઇન્સાફ નથી!

બીજો અન્યાય એ છે કે જ્યારે તે ફઝીલતો કે જે અલ્લાહે અલી (અ.સ) માટે ખાસ કરી છે પયગંબર (સ.અ.વ) ની દુઆઓની સાથે અને અલ્લાહની પાસે તેમનું ઉચ્ચ સ્થાનનુ વર્ણન થાય છે તો તેઓ તેનો ઇન્કાર કરે છે પરંતુ જે કઈ પવિત્ર પયગંબર (સ.અ.વ)ના સહાબીઓ માટે વર્ણવવામાં આવે છે તેને તેઓ સ્વીકારી લે છે તે કઈ બાબત છે જેના કારણે તેઓ અલી (અ.સ)માટે તેનો ઇનકાર કરે છે અને પવિત્ર પયગંબર (સ.અ.વ)ના બીજા સહાબીઓને તે સીફતો આપે છે?

  • તફ્સીરે ઈમામ હસન અસ્કરી (અ.સ)પા.૫૬૨
  • અલ એહ્તેજાઝ ભાગ-૨ પા.૩૩૦
  • બેહારુલ અન્વાર ભાગ ૨૧ પા ૨૩૫ તફ્સીરે અય્યાશી માંથી વર્ણન કરતા સુ.તૌબા આ.૧૧૮ ની નીચે

હદીસ અને બીજી ઘણી રીવાયતો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે મુસલમાનો માટે બીજો કોઈ રસ્તો નથી સિવાય કે તેઓ અમીરુલ મોઅમેનીન (અ.સ)ના દુશ્મનોની વિરુદ્ધ તબર્રા કરે ભલે પછી તે દુશ્મનોનુ સ્થાન અને માન ગમે તેટલું હોય અગર આ દુશ્મનોનો અમુક સહાબા અને પત્નીઓમાં સમાવેશ થતો હોય કે જેઓનો મુસલમાનોના અમુક ફિરકાઓ આદર કરે છે તો પણ શું અલ્લાહે પવિત્ર કુરઆનમા નથી ફરમાવ્યું કે

“નબી તથા તે લોકો કે જેઓ ઇમાન લાવ્યા છે તેમના માટે આ યોગ્ય નથી કે તેઓ મુશ્રીકો માટે ક્ષમાની દુઆ માંગે, એ પછી કે તેમના પર આ વાત જાહેર થઇ ગઇ હોય કે તેઓ જહન્નમી છે; (પછી) ભલેને તેઓ નજીકના સ્નેહી કાં ન હોય ?…….. પણ જ્યારે તેના પર આ વાત ઉઘડી ગઇ કે તે અલ્લાહનો દુશ્મન છે ત્યારે તે (ઇબ્રાહીમ) તેનાથી બેઝાર થઇ ગયો…..”

(સુ.તૌબા આ.૧૧૩ અને ૧૧૪)

અગર કોઈના સૌથી નજીકનાં સબંધીઓને પણ ન છોડવામાં આવ્યા તો પછી અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ)ના દુશ્મનોને માન આપવાનો સવાલ જ ક્યા છે અથવા તો અતિશયોક્તિ રૂપે તેમને ચાહવાનું કેહવામાં આવે છે?